
એક તરફ રાજ્ય સરકાર આદિવાસી બાળકોને શિક્ષણની ભૂખ ઉગાડવા શાળા પ્રવેત્સોવની ઉજવણી કરે છે,જયારે ૩૧૧ ગામોમાં ૩૭૭ પ્રાથમિક શાળાઓ આવી છે.જેમાંથી ૮૦થી વધુ શાળાઓમાં ઓરડાની ઘટ હોય વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયુ છે. રાજ્યનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખબકતો હોય છે ,તેવા સંજોગોમાં ડાંગ જિલ્લાની મહતમ પ્રાથમિક શાળાઓમાં મહેકમની ઘટ સાથે અપૂરતા ઓરડાઓને પગલે આદિવાસી વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ મેળવવા ફાંફા પડી રહ્યા છે. વઘઇ તાલુકાની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરહદ પાસે આવેલ મોટામાળુંગા ગામે ધો ૧ થી ૮ સુધી શાળામાં ૧૪૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાં ૧૦ ઓરડાઓમાંથી ૫ ઓરડાઓ જર્જરીત હોય તોડી પાડવામાં આવ્યા છે. જે ૧લી જાન્યુઆરી એ કાટમાળ પણ ખસેડી લેવાયો છતાં સ્કૂલનો પાયો પણ ન બનાવતા હાલ આદિવાસી વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં ઓટલા પર અને સાંકડા ઓરડામાં ઘેટાં બકરાની માફક ખીચોખીચ બેસાડી અભ્યાસ કરવા મજબુર બન્યા છે.આ સાથે જ વઘઇ તાલુકામાં ૩૫ જેટલી શાળાઓમાં ઓરડાઓની ઘટને પગલે બાળકોની સ્થિતિ દયનિય બની છે. આહવા તાલુકામાં પણ ૩૦ થી વધુ પ્રાથમિક શાળાઓમાં પૂર્વ આયોજન વગર ઓરડાઓ તોડી પાડ્યા બાદ બાંધકામની શરૂઆત ન થતા હાલ ચોમાસામાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે.તો બીજી તરફ ડાંગ જિલ્લાના છેવાડે આવેલ સુબીર તાલુકામાં પણ ૨૦ શાળાઓમાં જર્જરીત થયેલ ઓરડાઓ તોડી પાડ્યા બાદ હાલ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ ન હોય આદિવાસી વિદ્યાર્થીઓનો ભવિષ્ય અધ્ધરતાલ બની જવા પામ્યો છે.તેવા સંજોગો તંત્ર સરકારી નાણાંનો ધુમાડો કરી ગરીબ આદિવાસીઓ સાથે મજાક ઉડાવી રહી છે, ડાંગ જિલ્લામાં ૧થી ૫ અને ૮ ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ અંતર્ગત આવે છે.